Tuesday, May 18, 2021

વ્યસન મુક્તિ અભિયાન

આરોગ્ય વ્યસન મુક્તિ - જીવનની ચુસ્તી

આપણી પૃથ્વી પર જીવસુષ્ટિનો વસવાટ થયેલો છે. આ જીવનસૃષ્ટિમાં મનુષ્યજીવન, પ્રાણીજીવન અને વનસ્પતિજીવનનો સમાવેશ થયેલો જોવા મળે છે. આ ત્રણેય જીવસૃષ્ટિ એકબીજા પર આધારિત રહેલી છે. મનુષ્ય જીવનમાં માનવનો સમાવેશ થાય છે. માનવ એ સામાજિક પ્રાણી છે. સમાજમાં રહીને તે પોતાનું, કુટુંબનું, સમાજનું, ગામનું અને આ જ રીતે આગળ જતાં દેશનું ઘડતર કરે છે.

આજે આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં ઘણાં બધાં દુષણો ફેલાયેલાં છે. ઘણા બધાં કુરિવાજો, કુટેવો, ભ્રષ્ટાચાર વગેરે અનેક જગ્યાએ, અમુક રીતે ફેલાયેલાં જોવા મળે છે. આજનો માનવી સમયની સાથે તાલ મિલાવીને કાર્ય કરે છે. ઘણી વખત આવું કરવાં જતાં તે થાકી જાય છે અથવા તો કંટાળી જાય છે. તેના માથે જવાબદારી વધી ગઈ છે. પોતાના ઘર, કુટુંબ, પરિવારની ભરણ-પોષણ કરવાની, તેને સમાજમાં આગળ લાવવા માટે તે સતત મહેનત કર્યા કરે છે. આમ કરતાં તે ક્યારેક વ્યસનનો ભોગ બની જાય છે. દા.ત., એક માનવ દિવસભર મહેનત, મજૂરી, નોકરી કરીને સાંજે થાક ઉતારવા બીડી, સિગારેડ, તમાકુનું સેવન કરવા લાગે છે. કયારેક દારૂ પીવા લાગે છે. તેમ કરતાં તેને એમ લાગે છે કે તેના થાક ઊતરી જાય છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ ધીમે ધીમે તે વ્યસની બની જાય છે. કોઈક મનુષ્ય કોઈક માનસિક તણાવથી પણ મુક્ત થવા વ્યસનનો આશરો લે છે.

આમ, મનુષ્ય એ જન્મથી જ વ્યસની નથી હોતો. તે સમય, સંજોગોને આધીન વ્યસનનો આશરો લે છે. અપવાદરૂપે કોઈક કુટુંબોમાં મોટા મનુષ્યોને તમાકુ, બીડી, સિગારેટ, દારૂનું વ્યસન કરતાં જોઈ નાનાં બાળકોને નાનપણથી જ તેનો વારસો મળે છે. મા-બાપ અભણ, નિરક્ષર હોવાથી તેને તેમ કરતો રોકી શકતાં નથી.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ ચીજ (વસ્તુ)નું સેવન વારંવાર કર્યા વિના ચાલે નહી એવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે માણસ એ ચીજ વસ્તુનો વ્યસની થઈ ગયો છે એમ કહેવાય.

પશ્વિમના દેશોનું આંધળું અનુકરણ કરીને આપણે પણ દિનપ્રતિદિન વધારે ને વધારે વ્યસની બનતાં જઈએ છીએ. આપણા જીવનમાં સંઘર્ષ, દુઃખ, કલેશ આવે છે. તેનાથી દૂર જવા અને બચવા માનવ વ્યસનનો આશરો લે છે. વ્યસનના નશામાં ડૂબી જઈ ઘડીભર માણસ તેના દુઃખને ભૂલી જવા મથે છે. કેટલાક લોકો બે ઘડી આનંદ લૂંટવા પણ વ્યસનનો આશરો લે છે. હકીકતમાં વ્યસનથી નથી દુઃખ જતું તે નથી મળતું સુખ. વ્યસન તો વધારે દુઃખ આપનાર અને સુખ ઝૂંટવી લેનાર નશો છે. તેનાથી માણસ બરબાદ થાય છે. કદી પણ આબાદ થતો નથી, તેની પાછળ માણસ પૈસા વેડફે છે. તબિયત બગાડે છે, પુષ્કર દુઃખી થાય અને છેવટે મૃત્યુને વહેલું બોલાવે છે

આમ, વ્યસન એ મનુષ્ય માટે કલંકરૂપ સાબિત થયું છે. આજકાલ નાનાં - નાનાં ફુલ જેવાં કોમળ ભૂલકાંઓ પણ તમાકૂ-ચનો, પાન-મસાલા, ગુટખાના બંધાણી બનવા માંડયાં છે. ફકત મોટાં શહેરોમાં જ નહિ પરંતુ નાના નાના ગામડાનાં બાળકો પણ ચોરી છૂપીથી આનો શિકાર બનવા લાગ્યાં છે અને શરમની વાત એ છે કે છોકરીઓ પણ હવે આ વ્યસનની શિકાર બનવા લાગી છે.

આપણે જાણીએ છીએ કે વ્યસન એટલે કે ઈશ્વરે ક્ષેલી તંદુરસ્તીને નાદુરસ્ત કરવાનો માર્ગ. ‘વ્યસન’ એ મનુષ્યના જીવન માટે ઝેરી રસાયણ છે. જેનું પરિણામ લાંબે ગાળે તો ખોટારૂપે જ આવે છે.

પશ્વિમના દેશોમાં વ્યકિતના શરીરના અસ્તિત્વ માટે ઠંડા વાતાવરણથી બચવા માટે દારૂનું સેવન જરૂરી બને છે. પરંતુ તે દારૂ ભારત જેવા દેશમાં અતિશય નુકસાનકર્તા સાબિતિ થાય છે. આજનું આ યુવાધનરૂપી રાક્ષસના સંકજામાં ઝડપાઈ જઈ જુવાન ડોસલા બની રહ્યું છે. મનુષ્યો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય, સારું જીવવું હોય તો આવાં વ્યસનોથી દૂર રહેવું જ બહેતર છે. હવે તો સમાજમાં બેકારી પણ ઘણી વધીગઈ છે. જયાં જુઓ ત્યાં બેકારોનો રાફડો ફાટયો છે અને તેથી કરીને પણ બેકારો અંતે શિકાર થઈ જાય છે. આમ, એક મિત્રની ખરાબ સંગત બીજા મિત્રને પણ બગાડી શકે છે

“નાનું કુટુંબ સુખી કુટુંબ” એ સુત્ર આપણે સૌ જાણીએ છીએ. છતાં આજે દેશની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. મોટો પરિવાર ધરાવતો માનવી કુટુંબનું ભરણપોષણ કરતાં કરતાં થાકી જાય છે. કંટાળી જાય છે અને વ્યસનનો આશરો લઈ હાશ અનુભવે છે

વ્યસન ઘણાં પ્રકારનાં હોય છે. બીડી-ધૂમ્રાનનું વ્યસન, દારૂનું વ્યસન, ઠંડાપીણાનું વ્યસન આવા તો અનેક પ્રકારના ધણાં બધાં વ્યસનો આપણને જોવા મળે છે. કહેવાય છે ને કે “જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ”. દા.ત., એક લીમડાનું વૃક્ષ છે. પ્રથમ કઠિયારાની નજર પડે છે. તો તે તેને કાપીને વેચવાનો વિચાર કરે છે. એક સુથારને તે વૃક્ષમાંથી સારાં બારી-બારણા, ફર્નિચર બનાવવાનો વિચાર આવે છે. એક ચિત્રકાર તેને પોતાના રંગોથી સજાવવા માગે છે. લેખકને તે જોઈએ વૃક્ષના મહત્વ પર લેખ લખવાનો વિચાર આવે છે. આમ, દરેક વ્યકિત પોત પોતાના સ્થાને તે વૃક્ષ વિશે વિચારે છે. વ્યસનનું પણ કાંઈક આવું જ છે. આપણે જાણીએ છીએ કે પ્રભુએ આપણને આ મહામૂલો મનુષ્ય અવતાર આપ્યો છે અને તેમાંય સુખ, સંપત્તિ બક્ષી છે. મનુષ્ય સામાજિક સંબધોના રિતરિવાજોમાં ખોવાઈ ગયો છે. જેનાથી પર રહીને સુખમય જીવન, આનંદમય જીવન, આશામય જીવન, અમૃતમય જીવન, ઈશ્વરમય જીવન જીવવું હોય તો વ્યસનનું આગમન આપણા આંગણે કદી પણ થવા દેશો નહીં. વ્યસનને નિવારવા શિક્ષણ જરૂરી છે. કુદરતે બક્ષેલું આ જીવન ફકત જેમતેમ જીવવા માટે નથી. દરેક વ્યકિત તેને જીવે છે. પરંતુ જીવન કેવી રીતે જીવવું તે અગત્યનું છે. સારું જીવન જીવવા માટે નિર્વ્યસની બનવું જરૂરી છે. સારું જીવન જીવવા પ્રભુ આપણને નિર્વ્યસની બનાવે.

વ્યસન કરવાથી ઘણા બધા રોગો થાય છે. જેમ કે ઉધરસ, તાવ, શરદી, લ્યુપસ ઈરીથોમેટ્સ, વાળ ખરી પડવા, મોમાં ચાંદાં પડે, મોતીઓ આવવો, ચામડી પર કરચલી પડવી, શ્રવણશક્તિ ઘટવી, ફેફસાના રોગો, દાંતનો સડો, ચામડીનું કેન્સર, હાડકાં પોલાં થઈ જવાં, હૃદયરોગ, હોજરીમાં ચાંદા પડવાં, સ્ત્રીઓમાં ગર્ભાશય અને ગર્ભાશયના મુખનું કેન્સર, શુક્રાણુંઓની તરલીફ અને નપુંસકતા, લોહીની નળીઓનો રોગ વગેરે જેવા રોગો થાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે ૧૧ કરોડથી પણ વધારે રૂપિયાની સિગારેટ પીવાય છે. તો તેની સામે થતી રોગોની બરાબાદી પાછળ પણ રોજ એટવા જ કરોડ રૂપિયા ખર્ચાય છે.

ધૂમ્રપાનથી સમયનો અને નાણાંનો વ્યય થાય છે. ભારતમાં દર વર્ષે ૧૧ લાખ ટન તમાકુવાળી પાનની પિચકારી મરાય છે. કેન્સર અને ક્ષયના દર્દીઓમાંથી ૮૦ ટકા વ્યસની હોય છે. ધૂમ્રપાનના કારણે દેશમાં દર વર્ષે લગભગ ૧૦ લાખ લોકો અકાળે મૃત્યુ પામે છે અને બીમારીઓ પાછળ દર વર્ષે ૭૦ કરોડ રૂપિયા ખર્ચાય છે અને હોસ્પિટલોના ૧૦,૦૦૦ પલંગનો ઉપયોગ થાય છે. ધૂમ્રપાનને કારણે માનવશ્રમ, કલાકોની જે હાનિ થાય છે તેની કિંમત લગભગ ૨૬૦ કરોડ રૂપિયા કરતાં વધારે ગણાય છે.

આપણા દેશમાં દર મહિને ૧૪૦ કરોડ એટલે કે વર્ષમાં ૧૬ અજબ ૮૦ કરોડ રૂપિયાની તમાકુ પીવાય છે. જો આટલું ધન બચાવી શકાય તો એનાથી બેરોજગારીની સમસ્યા ઉકેલી શકાય.

ઉપાયોઃ-
  • સારા મિત્રોના સોબત રાખવી.
  • પ્રાર્થના કરવી.
  • સદવાચનની ટેવ પાડવી.
  • આ વ્યસન છોડવું મારા માટે અશક્ય છે તેવો વિચાર મનમાંથી કાઢી નાખવો.

સંક્લનઃ પ્રવિણસિંહ પરમાર

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...